એક તરફ નવરાત્રીના છેલ્લા દિવસો ચાલી રહ્યા હોવાથી ખેલૈયાઓ મનભરીને ગરબા રમી લેવાના મૂડમાં છે, ત્યાં બીજી તરફ વરસાદ જતા-જતા ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવી નાંખવાના મૂડમાં હોય તેમ જણાઇ રહ્યું છે. વરસાદને લઈને હવામાન ખાતાની મહત્વની આગાહી સામે આવી છે. હવામાન ખાતાએ કહ્યું છે કે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હોવાથી રાજયમાં હાલ વરસાદનો માહોલ રહેશે.
આ પણ વાંચો : ખેલૈયાઓ થઈ જાવ સાવધાન, આજે અમદાવાદ, વડોદરા સહિત 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો રહેશે તેવું પણ જણાવાયું છે. અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતા 25% વધારે વરસાદ પડી ચૂક્યો છે.
આ પણ વાંચો : ખેલૈયાઓ માટે વરસાદ બનશે વિઘ્ન! હવામાન વિભાગે આગામી 4 દિવસની કરી મોટી આગાહી
આગાહીમાં મોટી વાત એ છે કે માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની સાથે-સાથે અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ વગેરે જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે ગઇકાલે પણ ગરબા દરમ્યાન વરસાદ પડતા અનેક ઠેકાણે ગરબા બંધ કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી, અને ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું.ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદના માહોલે ગરબા આયોજકોની ચિંતા વધારી છે. સૌરાષ્ટ્રમાં તો અનેક જગ્યાઓએ આયોજકોએ ગ્રાઉન્ડમાં પ્લાસ્ટીક પાથરીને ગ્રાઉન્ડને પાણીથી ભીનું થતા બચાવવાનો પ્રયાસ કર્યો હતો.