ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે જોર પકડી રહ્યું હોય તેમ લાગી રહ્યુ છે. રાજ્યમાં ક્યાંક ગરમી અને બફારો અનુભવાઇ રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગુજરાતીઓ રાહતનો શ્વાસ લઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી , સુરેન્દ્રનગર અને ગીર સોમનાથમાં અનેક નદીનાળાઓમાં નવા નીર આવવાથી લોકોના ઉત્સાહમાં વધારો થયો.
હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી આપી છે. જેમા તેમણે બે દિવસ માટે દક્ષિણ ગુજરાતનો દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે આ સાથે પવનની મહત્તમ 55 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂ્ંકાઇ શકે છે
રામાશ્રય યાદવે આજે બુધવાર (26-06-24) માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. આ સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુરૂવારે (27-06-24)પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુરૂવારે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
નોંધનીય છે કે, IMD/ISROના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી તથા આગામી સપ્તાહમાં રાજયમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એન.ડી.આર.એફ.ના અધિકારીએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ સાત ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.