આગામી કેન્દ્રીય બજેટમાં હવે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાનો વિસ્તાર કરવામાં આવશે અને તેમાં પ્રથમ વખત હવે જૂથ વિમા યોજના જેવી સ્કીમ પણ દાખલ કરવામાં આવશે.
દેશમાં કોરોના કાળ બાદ આરોગ્ય અંગેનો ખર્ચ સતત વધી રહ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા હાલ જે આવક મર્યાદા સાથે આયુષ્યમાન ભારત યોજના હેઠળ જે કુટુંબોને આવરી લેવાયા છે તેમાં મીડલ કલાસની બાદબાકી થઈ હોવાનો એક રિપોર્ટ નીતિ આયોગ દ્વારા આપવામાં આવ્યો છે.
જેમાં જણાવાયું છે કે, આ વર્ગ એવો છે કે જેને સરકારી યોજનાનો લાભ મળે તેટલા ગરીબ નથી અને તેઓ એટલા ધનવાન પણ નથી તેઓ ખાનગી વિમા કંપનીઓના હેલ્થ પ્લાનનું પ્રીમીયમ ભરી શકે અને તેઓના કુટુંબમાં અચાનક જ આવી પડતી આરોગ્ય સંબંધીત મુશ્કેલીઓ સમયે તેઓને મોટો માર પડે છે. વિશ્વબેંકના રીપોર્ટ કહે છે કે આરોગ્ય પાછળ કરવા પડતા ખર્ચને કારણે વિશ્વમાં અડધો અબજ જેટલા લોકો ગરીબી રેખા હેઠળ ચાલ્યા જાય છે.
તેથી જ હવે કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભારત યોજનાનો વ્યાપ વધારવા આગળ વધી રહી છે અને તેમાં હવે ટેકસી ડ્રાઈવરો, ટ્રક ડ્રાઈવરો તેમજ અન્ય સેવા ક્ષેત્રે કામ કરતા કામદારો, સહકારી સોસાયટી તેમજ ડેરી ક્ષેત્રમાં કામ કરતા લોકોને સામાન્ય પ્રીમીયમ હેઠળ આ યોજનાનો લાભ મળે તે માટે આગળ વધારાઈ રહ્યું છે અને તેમાં પ્રથમ વખત અગાઉથી થયેલા રોગોની પણ સારવાર આ યોજના હેઠળ કરાવી શકાશે તે જોગવાઈ પણ કરવામાં આવી રહી છે.
ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર 2018માં લોન્ચ કરાયેલી આ યોજનામાં રૂા.5 લાખ સુધીની આરોગ્ય ખર્ચ સરકાર ભોગવે છે જેમાં અત્યારે 14 કરોડથી વધુ કુટુંબોને આવરી લેવાયા છે. પરંતુ હજુ દેશમાં 40 કરોડ લોકો એવા છે કે જે કોઈપણ પ્રકારનું આરોગ્ય કવચ ધરાવતા નથી.