ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે માવઠાની અસર શરૂ થઈ ગઈ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે. હવામાન વિભાગે રાજ્યમાં 16થી 19 માર્ચ સુધી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં આ સમયગાળા દરમિયાન 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. આજે સવારથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં પલટો આવવાથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે.
5 દિવસ રહેશે વરસાદી માહોલ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16, 17, 18 અને 19 માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. રાજ્યમાં આ સમયગાળા દરમિયાન 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ અને વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 16 માર્ચે ગાજવીજ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાની સંભાવના છે.
રાજ્યના 7 જિલ્લામાં માવઠાની શક્યતા
17 માર્ચે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા, વલસાડ, અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે.
18 માર્ચે દાહોદ , ડાંગ, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેની રાજ્યના 7 જિલ્લામાં 19 માર્ચ સવારે સાડા આઠ વાગ્યા સુધી માવઠાની શક્યતા છે.