રાજ્યમાં ગત ત્રણ ચાર દિવસોના પ્રમાણમાં વરસાદનું જોર ઘટ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકા પૂર્ણ થયો છે. તો બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં આજનો દિવસ હજી ભારે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ થઇ શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી છે. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે, જેના લીધે વાતાવરણમાં પણ ઠંકડ પ્રસરી છે.
મળતી માહિતી પ્રમાણે, વરસાદ પ્રભાવિત 9 જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16,360થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 8 જિલ્લાના 1079 લોકોને રેસક્યું કરવામાં આવ્યા છે. રેસ્કયું કામગીરી માટે વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ ખડેપગે તહેનાત કરાઈ છે. જરૂર પડ્યે વધુ ૫ ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, તારીખ 19 અને 20 માં જળ તાંડવ થાય તેવી શક્યતા છે. જેથી જનધનને કાળજી રાખવી પડશે. બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદના ભાગોમાં અગમચેતી રાખવાની જરૂર છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે ત્યારે ચક્રવાતનું પ્રમાણ વધશે. બંગાળના ઉપસાગરમાં બરાબરની હલચલ થશે. નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહ્યા કરશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં થોડા થોડા કરીને વરસાદના વધુ ઝાપટાં આવી શકે છે.