રાજ્યમાં આ વર્ષે 127 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ વખતે રાજ્યભરમાં સારો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઇ ગઇ છે. ચોમાસાની વિદાય ભરૂચ સુધી પહોંચી છે જેના કારણે ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાએ અધિકારીક રીતે વિદાય લીધી છે. પરંતુ હજી વાતાવરણમાં ભેજનું પ્રમાણ છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીએ ચોમાસા અંગે વાત કરતા જણાવ્યુ કે, 'ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સુકું રહેશે પરંતુ ભેજનું પ્રમાણ છે. જેથી ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ પણ વરસી શકે છે. રાજ્યનાં દક્ષિણ ભાગમાં ભેજનું પ્રમાણ છે જ્યારે ઉત્તર ગુજરાત ડ્રાય થઇ ગયુ છે. રાજ્યમાં ભેજના કારણે વાદળ બનીને એકાદ જગ્યાએ વરસાદ થઇ શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઇ ગઇ છે. ચોમાસાની વિદાયની લાઇન હાલ ભરૂચ પાસે છે. જેથી ભરૂચની ઉપરના તમામ જિલ્લાઓમાંથી વરસાદની વિદાય થઇ ગઇ છે.'
ક્યાં વરસી શકે છે વરસાદ
તેમણે વધુમાં જણાવ્યુ કે, 'વરસાદની વાત કરીએ તો, રાજ્યના દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક સામાન્ય વરસાદ વરસવાની આગાહી છે.'
તાપમાન કેવું રહેશે?
ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, હાલ રાજ્યના દરિયાકાંઠા સિવાયના વિસ્તારોમાં 34થી 35 ડિગ્રી તાપમાન રહે છે. જેમાં આગામી પાંચ દિવસોમાં વધારે વધારો થવાની શક્યતા નથી પરંતુ એક બે ડિગ્રી તાપમાન વધી શકે છે. આ વખતે રાજ્યમાં વરસાદની વાત કરીએ તો સારો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 27 ટકા વધારે વરસાદ થયો છે.