Team india: ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી 3 મેચોની વનડે (ODI) સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત BCCI દ્વારા કરી દેવામાં આવી છે. હાલમાં સંપૂર્ણપણે ફિટ ન હોય તેવા વિરાટ કોહલીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કોહલીની ઉપલબ્ધતા ફિટનેસ ક્લિયરન્સને આધીન છે. આનો અર્થ એ થયો કે જો તે ફિટનેસ ટેસ્ટ પાસ કરે તો જ તે સીરિઝમાં ભાગ લઈ શકશે. આગામી 2027 વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદ કરાયેલી આ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સંતુલન જોવા મળે છે. ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે, જ્યારે શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે.
વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસી થઈ છે. જ્યારે પાછલી સીરિઝમાં સારું પ્રદર્શન કરેલા યશસ્વી જયસ્વાલની ટીમમાં જગ્યા મળી નથી, ઉપરાંત, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ ફરી એકવાર ભારતીય ટીમમાં સામેલ થયો છે. બુમરાહની વાપસીથી બોલિંગ વિભાગને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે આ પ્રવાસ માટે ઉપલબ્ધ નથી, જેના કારણે ટીમ મેનેજમેન્ટને મધ્યક્રમ અને ઓલરાઉન્ડ વિકલ્પોમાં ફેરફાર કરવો પડ્યો છે. પસંદગી સમિતિએ યુવા ખેલાડીઓને તક આપવાની સાથે અનુભવી ખેલાડીઓ પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર નજર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ વન-ડે શ્રેણી બંને ટીમો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આગામી વર્લ્ડ કપની તૈયારીઓ તેમજ ખેલાડીઓના ફોર્મનું મૂલ્યાંકન કરવા માટે આ સિરીઝ મહત્વની સાબિત થઈ શકે છે. ક્રિકેટ ચાહકો હવે શુભમન ગિલની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર નજર રાખશે.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમ
કેએલ રાહુલ (wk ), ઈશાન કિશન (wk), વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ (c ), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (wc),અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનૂર બરાર.